ધો. ૧૦-૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રોનું સ્થળ મેળવી શકશે Students of Std. 10-12 board scan QR code
અમદાવાદ: આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો. 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી દ્વારા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર સહિત અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચવા માટે ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ, તેમજ સંભવિત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સહાય મળે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ક્યુઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું સ્થાન જાણી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મફત અને સરળ માર્ગદર્શન થશે.
પરીક્ષા આપવા માટે કુલ 1,53,290 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધો. 10ના 91,830, ધો. 12 (સામાન્ય પ્રવાહ)ના 45,720 અને ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ)ના 15,740 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરે સુનિશ્ચિત કર્યું કે તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાશે.