અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ઘટના આજે 17 જાન્યુઆરીની વહેલી સવારે બની હોવાનું જાણવા મળ્યું છે. Sabarmati Central Jail prisoner suicide update
મળતી માહિતી મુજબ, કાચા કામના કેદી નિશાનસિંહ લોહાર (ઉંમર 31 વર્ષ) એ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર-4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાં વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ સવારે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે થયો હોવાનું જણાવાયું છે.
નિશાનસિંહ લોહાર મૂળ પંજાબનો રહેવાસી હતો અને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં તેને 8 જાન્યુઆરીના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં આવ્યાંના માત્ર નવમા દિવસે જ કેદીએ આપઘાત કરી લીધો.
ઘટનાની જાણ થતાં જ જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન કેદીનું મોત થઈ ચૂક્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું. કેદી પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.
આ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.













