CJP (કોકરોચ જનતા પાર્ટી)ના સતત વિરોધ પ્રદર્શન વચ્ચે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે CJP દ્વારા છેલ્લા કેટલાક સમયથી NEET-UG પેપર લીક કેસને લઈને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. Education Minister Dharmendra Pradhan resigns
X પર પોસ્ટ કરીને રાજીનામાની માહિતી આપી
ધર્મેન્દ્ર પ્રધાને પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર લાંબી પોસ્ટ શેર કરીને રાજીનામાની જાહેરાત કરી. તેમણે લખ્યું કે છેલ્લા ચાર દાયકાથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, મજબૂત અને સર્વસમાવેશક શિક્ષણ વ્યવસ્થા જ દેશના વિકાસનો મજબૂત પાયો છે.


NEET-UG પરીક્ષાની ગેરરીતિ અંગે શું કહ્યું?
પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ CBIને સોંપવામાં આવી, પરીક્ષા રદ કરવામાં આવી અને નવી તારીખ જાહેર કરવામાં આવી. ઉપરાંત આગામી વર્ષથી પરીક્ષા CBT (Computer Based Test) મોડમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તેમણે જણાવ્યું કે સરકારનું મુખ્ય લક્ષ્ય 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પારદર્શક અને સુવ્યવસ્થિત પરીક્ષા યોજવાનું હતું, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો.
“શરૂઆતથી જ જવાબદારી સ્વીકારી”
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેમણે શરૂઆતથી જ સમગ્ર ઘટનાની જવાબદારી સ્વીકારી હતી અને ક્યારેય પરિસ્થિતિથી દૂર ભાગ્યા નહોતા. તેમનો સંકલ્પ હતો કે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું ભવિષ્ય પરીક્ષા માફિયાના કારણે બગડવા ન દેવું અને કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન થવો જોઈએ.
તેમણે જણાવ્યું કે 16 જુલાઈએ જાહેર થયેલા NEET-UG પરિણામોમાં અનેક ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી, પરંતુ કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા, જેનાથી તેમને દુઃખ થયું.
“યુવાશક્તિ દેશની સૌથી મોટી તાકાત છે”
તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે તેમને ભારતના લોકતંત્ર અને દેશના યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે. યુવાનો માત્ર દેશનું ભવિષ્ય જ નહીં પરંતુ વિકસિત ભારતના નિર્માતા પણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓથી તેઓ વ્યથિત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું.
રાજીનામા પાછળનું કારણ પણ જણાવ્યું
ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે જંતર-મંતર અને દેશભરમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોઈ રાષ્ટ્રવિરોધી તાકાત તેનો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની વિવાદોમાં ન ફસાય અને વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપી શકે, તે હેતુથી તેમણે વડાપ્રધાનને પોતાનું રાજીનામું મોકલ્યું છે.
તેમણે વડાપ્રધાન, મંત્રિમંડળના સાથીઓ, મંત્રાલયના અધિકારીઓ અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે રાષ્ટ્રસેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.
ભવિષ્યમાં પણ દેશસેવાનો સંકલ્પ
પોસ્ટના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને ભગવાન જગન્નાથના આશીર્વાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાના લોકો અને દેશના યુવાનોની સેવા માટે સતત કાર્ય કરતા રહેશે.













