ગાંધીનગર: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ ટાવર માટે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. electricity tower lines gujarat news
નવી વ્યવસ્થા મુજબ હવે ખેડૂતોને અગાઉ મળતા જંત્રીના 200% વળતરના બદલે જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા (2 ગણાં) દરે વળતર ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી વીજ પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને વધુ ન્યાયસંગત અને યોગ્ય વળતર મળશે.
રાજ્ય સરકારે આ સાથે વધુ બે મહત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા છે:
- વીજ ટાવરના બેઝની આસપાસના 1 મીટર વિસ્તારને પણ વળતરની ગણતરીમાં સામેલ કરવામાં આવશે.
- ખેડૂતોને મળનાર તમામ વળતરની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે.
સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની જમીન માટે બજાર આધારિત યોગ્ય વળતર આપવાનો છે, જેથી વિકાસના કામો સાથે ખેડૂતોના હિતો પણ સુરક્ષિત રહે.
આ નિર્ણય રાજ્ય સરકારના કિસાન હિતલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવે છે અને રાજ્યના હજારો ખેડૂતોને તેનો સીધો લાભ મળવાની શક્યતા છે.












